વડોદરા,તા.૧૦
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૧૯૯૮ના
વર્ષ પછી ભરતી થયેલાં તમામ શિક્ષકોને હાલ ફાજલ ન કરવા અંગેનો મહત્વનો નીતિ
વિષયક નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગે કર્યો છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર
બહાર પાડી તેના તત્કાળ અમલીકરણ અર્થે રાજ્યના તમામ જિલ્લાઓના
શિક્ષણાધિકારીઓને જાણ કરી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને પગલે ૧૯૯૮ બાદ
ભરતી થયેલા શિક્ષકોને ફાજલ થવાની શક્યતાઓમાંથી રક્ષણ મળતાં આ શિક્ષકોએ ભારે
રાહત અનુભવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયને રાજ્યની શિક્ષણ આલમે આવકાર્યો
છે.
- તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર પાઠવી અમલ કરવા તાકીદ કરી
શિક્ષક સંઘોના લાંબા ગાળાના સંઘર્ષનું પરિણામ
૧૯૯૮ બાદ ભરતી મેળવનારા શિક્ષકોને સરકાર દ્વારા કાયમી તરીકેનું
રક્ષણ ન આપવા અંગેનો પરિપત્ર અમલી બનાવાયો હોવાથી રાજ્યના શૈક્ષણિક સંધો
દ્વારા સરકાર અને શિક્ષણ વિભાગ સમક્ષ આ મુદ્દે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર
રજૂઆત કરવામાં આવી હતી. લાંબા ગાળાના સંઘર્ષ બાદ અસંખ્ય શિક્ષકોની જગ્યાઓ
હાલ ખાલી હોઈ વચગાળાની કામગીરી તરીકે શિક્ષણ વિભાગને આ નિર્ણય લેવાની ફરજ
પડી છે.
તમામ શિક્ષકોને રક્ષણ મળવાપાત્ર થશે
રાજ્યમાં ધોરણ - ૮નો ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાતાં તે
વેળાની પરિસ્થિતિને કારણે જે માધ્યમિક શિક્ષકો આ પરિસ્થિતિથી અસર પામતા હતા
તેઓને જ ફાજલ તરીકેનું રક્ષણ મળવાપાત્ર હતુ. તેના બદલે વર્તમાન નવા
પરિપત્રને કારણે ધોરણ ૮ થી ૧૨ સુધીના તમામ શિક્ષકોને ફાજલનું રક્ષણ મળશે.
