મકરસંક્રાંતિને અલગ-અલગ પ્રદેશોમાં અલગ-અલગ નામથી ઓળખવા તથા મનાવવામાં આવે છે. જેમ કે, મકરસંક્રાંતિને તમિલનાડુમાં પોંગલ તરીકે, આંધ્રપ્રદેશ, કર્ણાટક તથા કેરળમાં માત્ર સંક્રાંતિના નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે મહારાષ્ટ્રમાં 'તિળ ગુળ ઘ્યા આણિ ગોડ ગોડ બોલા' વાક્ય સૌના મોઢે સાંભળવા મળે છે. આ દિવસે આ વાક્ય બોલવાની સાથે એકબીજાને ઉપહાર કે ભેટ આપવામાં આવે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આ દિવસે બીજી સ્ત્રીઓને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે અને તેમને હળદર-કંકુ લગાવીને તલ-ગોળની સાથે ઉપહારોની પૂજા કરીને તેમને ભેટ આપે છે.
મકરસંક્રાંતિની પૌરાણિક કથાઓ
સૂર્ય ભગવાન પોતાના પુત્ર શનિ અને બીજી પત્ની છાયાના શાપને કારણે કોઢી થઈ ગયા હતા, પરંતુ
પોતાના બીજા પુત્ર યમરાજના સાર્થક પ્રયત્નો દ્વારા એવું વરદાન પણ મેળવ્યું
કે જે પણ વ્યક્તિ ભગવાન સૂર્યના ચક્ર સ્વરૂપ એટલે કે માત્ર ચહેરાની પૂજા
કરશે તેના કુષ્ઠ રોગ દૂર થશે. એક સમયે સોના-ચાંદી, ઝવેરાતથી
ભરેલું રહેનાર છાયા અને શનિદેવનું ઘર હવે ધનરહિત થઈ ગયું હતું. ઘણો સમય
વીત્યા પછી પુત્રમોહ તથા યમરાજના ઘણા સમજાવવાથી ભગવાન સૂર્ય પોતાની પત્ની
છાયાના ઘરે પહોંચ્યા ત્યારે શનિદેવ અને છાયાએ તેમની પૂજા-અર્ચના કરી.
વાત્સલ્ય પ્રેમથી ભગવાને જણાવ્યું કે, "મારા શાપ અને કિરણોને
કારણે તમારું ઘર નિર્ધન થઈ ગયું છે. તે હવે હંમેશાં ધનથી સંપન્ન રહેશે."
નિર્ધનતાને કારણે છાયા અને પુત્ર શનિએ ભગવાન સૂર્યની પૂજા માત્ર તલ દ્વારા
કરી હતી, કારણ કે નિર્ધનતાને કારણે તેમની પાસે કોઈ પણ
પ્રકારનું અનાજ કે પૂજા માટેની બીજી કોઈ સામગ્રી ન હતી. શનિ અને છાયાના
કાળા રંગને કારણે તે તલનો રંગ પણ કાળો થઈ ગયો. આથી ભગવાન સૂર્યએ વરદાન
આપ્યું કે, "જે પણ વ્યક્તિ આ દિવસે તલથી મારી પૂજા કરશે તેને દૈહિક, વૈદિક તથા ભૌતિક કષ્ટ કે આપત્તિ ક્યારેય નહીં આવે."- મકરસંક્રાંતિના દિવસે જ ગંગાજી ભાગીરથની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમ થઈને સાગરમાં જઈ મળ્યાં હતાં. એવું પણ કહેવામાં આવે છે કે ગંગાજીને ધરતી પર લાવનારા મહારાજા ભગીરથે પોતાના પૂર્વજોનું આ દિવસે તર્પણ કર્યું હતું. તેમનું તર્પણ સ્વીકાર કર્યા પછી મકરસંક્રાંતિના દિવસે ગંગાજી સમુદ્રમાં જઈ મળ્યાં હતાં, તેથી મકર સંક્રાંતિના દિવસે ગંગાસાગરમાં મેળો લાગે છે, લોકો ગંગાજીમાં સ્નાન અને પિતૃ તર્પણ કરે છે.
- મહાભારત કાળના મહાન યોદ્ધા ભીષ્મ પિતામહને ઇચ્છા મૃત્યુનું વરદાન હતું. તેઓ બાણશય્યા પર પણ જીવિત હતા. સૂર્ય ઉત્તરાયણમાં હોય ત્યારે મોક્ષનો દ્વાર ખૂલી જાય છે, તેથી ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકરસંક્રાંતિના દિવસની જ પસંદગી કરી હતી.
- યશોદાજીએ જ્યારે કૃષ્ણ જન્મ માટે વ્રત લીધું હતું ત્યારે સૂર્યદેવતા ઉત્તરાયણ કાળમાં પદાર્પણ કરી રહ્યા હતા અને તે દિવસે મકરસંક્રાંતિ હતી. એવું માનવામાં આવે છે કે ત્યારથી જ મકરસંક્રાંતિના દિવસે વ્રતનું પ્રચલન શરૂ થયું.
- મકરસંક્રાંતિના દિવસે જ ભગવાન વિષ્ણુએ અસુરોનો અંત કરીને યુદ્ધ સમાપ્તિની ઘોષણા કરી હતી તથા બધા જ અસુરોનાં શીશને મંદાર પર્વતમાં દબાવી દીધાં હતાં. આ રીતે આ દિવસ બૂરાઈઓ અને નકારાત્મકતાને સમાપ્ત કરવાનો દિવસ પણ છે.
શું કહે છે પુરાણો?
આપણા પુરાણો અનુસાર મકરસંક્રાંતિનું પર્વ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણેશ, આદ્યશક્તિ અને સૂર્યદેવની આરાધના તથા ઉપાસનાનું પાવન વ્રત છે, જે તન, મન
અને આત્માને શક્તિ પ્રદાન કરે છે. મકરસંક્રાંતિ સૂર્યદેવતા સાથે સંબંધિત
છે. સૂર્યદેવ આત્માના કારક છે. સંત-મર્હિષઓ અનુસાર તેના પ્રભાવથી મનુષ્યની
આત્મા શુદ્ધ થાય છે. સંકલ્પશક્તિ વધે છે. મકરસંક્રાંતિ સમગ્ર ભારતમાં કોઈ
ને કોઈ રીતે મનાવવામાં આવે છે.- વિષ્ણુ ધર્મસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે પિતૃઓની આત્માની શાંતિ માટે તથા સ્વ સ્વાસ્થ્યવર્ધન તથા સર્વકલ્યાણ માટે તલના છ પ્રયોગ પુણ્યદાયક તથા ફળદાયક હોય છે- તલના તેલથી સ્નાન કરવું, તલનું દાન કરવું, તલમાંથી બનેલું ભોજન, જળમાં તલ અર્પણ, તલની આહુતિ, તલનું ઉબટન કરવું.
- ભગવાન શ્રીકૃષ્ણે પણ ઉત્તરાયણનું મહત્ત્વ જણાવતાં ગીતામાં કહ્યું છે કે ઉત્તરાયણના છ માસના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવતા ઉત્તરાયણ હોય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે. આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી તે જીવનો પુનર્જન્મ થતો નથી અને તે બ્રહ્મને પ્રાપ્ત કરે છે. તેનાથી તદ્દન વિરુદ્ધ સૂર્ય દક્ષિણાયન હોય ત્યારે પૃથ્વી અંધકારમય હોય છે અને લોકો આ અંધકારમાં શરીરનો ત્યાગ કરે તો તેને પુનઃ જન્મ લેવો પડે છે. (શ્લોક ૨૪-૨૫)
- સૂર્યના ઉત્તરાયણ થયા પછી દેવોની બ્રહ્મમુહૂર્ત ઉપાસનાનો પુણ્યકાળ શરૂ થઈ જાય છે. આ કાળને જ પરા-અપરા વિદ્યાની પ્રાપ્તિનો કાળ કહેવામાં આવે છે. તેને સાધનાનો સિદ્ધિકાળ પણ કહેવામાં આવ્યો છે. આ કાળમાં દેવપ્રતિષ્ઠા, ગૃહનિર્માણ, યજ્ઞાકર્મ વગેરે જેવાં શુભ કાર્યો કરી શકાય. મકરસંક્રાંતિના એક દિવસ પહેલાંથી જ વ્રત-ઉપવાસ કરીને યોગ્ય પાત્રને દાન આપવું.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવ ધન રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. મકર રાશિના સ્વામી શનિદેવ છે, જે સૂર્યના પુત્ર હોવા છતાં પણ સૂર્યદેવ સાથે શત્રુભાવ રાખે છે, તેથી શનિદેવના ઘરમાં સૂર્યદેવની ઉપસ્થિતિ દરમિયાન શનિદેવ તેમને કષ્ટ ન આપે, તે માટે તલનું દાન અને સેવન મકરસંક્રાંતિના દિવસે ખાસ કરવામાં આવે છે.
- એવી માન્યતા છે કે માઘ માસમાં જે વ્યક્તિ રોજ ભગવાન વિષ્ણુનું પૂજન તલથી કરે છે તેનાં સમસ્ત કષ્ટ દૂર થઈ જાય છે.
- એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પ્રયાગમાં બધાં જ દેવી-દેવતાઓ પોતાનું સ્વરૂપ બદલીને સ્નાન કરવા માટે આવે છે, તેથી આ દિવસે દાન, તપ, જાપ, સ્નાનનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે ગંગાસ્નાન કરવાથી બધાં જ પ્રકારનાં કષ્ટ અને બીમારીઓમાંથી મુક્તિ મળે છે.
- મકરસંક્રાંતિમાં તલ, ચોખા, ગોળ, અડદ, સિંગ વગેરેમાંથી બનેલી વસ્તુઓ વધારે ખાવામાં આવે છે, કારણ કે તે પૌષ્ટિક હોવાની સાથે સાથે ઠંડીના સમયમાં આપણા શરીરને પણ ગરમ રાખે છે.
- મકરસંક્રાંતિના દિવસે અનાજ, વસ્ત્ર, ઊનનાં કપડાં, શેરડી, વિવિધ ફળ વગેરેનું દાન કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે. દીર્ઘાયુ તથા નીરોગી રહેવા માટે રોગીએ આ દિવસે ઔષધી, તેલ અને પૌષ્ટિક આહારનું દાન પણ કરવું જોઈએ.
પતંગોત્સવની પરંપરા
મકરસંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવાની વિશેષ
પરંપરા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં જોવા મળે છે. પતંગ ઉડાવીને મનોરંજન
કરવામાં આવે છે. જોકે, આપણે ત્યાં મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાવવામાં આવે છે, પરંતુ
દેશના બીજા પ્રદેશો તથા વિદેશમાં અલગ-અલગ સમયે પતંગ ઉડાવવામાં આવે છે.
પતંગ ઉડાવવાની પરંપરાનો ઉલ્લેખ શ્રીરામચરિતમાનસમાં તુલસીદાસે પણ કર્યો છે.
તેમાં બાલકાંડમાં ઉલ્લેખ છે કે, 'રામ ઇક દિન ચંગ ઉડાઈ, ઇન્દ્રલોક મેં પહૂંચ ગઈ.' ત્રેતાયુગમાં
એવા ઘણા પ્રસંગ છે જ્યારે ભગવાન શ્રીરામે પોતાના ભાઈઓ અને હનુમાનજી સાથે
પતંગ ઉડાવ્યો હતો. એક વાર શ્રીરામનો પતંગ ઇન્દ્રલોકમાં પહોંચી ગયો. જેને
જોઈને દેવરાજ ઇન્દ્રની પુત્રવધૂ અને જયંતની પત્નીએ એ પતંગને પકડી લીધો અને
વિચારવા લાગી, 'જાસુ ચંગ અસ સુન્દરતાઈ. સો પુરુષ જગ મેં અધિકાઈ' પતંગ
ઉડાવનાર અવશ્ય તેને લેવા માટે આવશે. ઘણી રાહ જોવા છતાં પણ પતંગ પાછો ન
આવતાં શ્રીરામે હનુમાનજીને પતંગ લેવા માટે મોકલ્યા. જયંતની પત્નીએ પતંગ
ઉડાવનારનાં દર્શન કર્યાં પછી જ પતંગ પાછો આપવાનું જણાવ્યું અને શ્રીરામના
ચિત્રકૂટમાં દર્શન આપવાના આશ્વાસન પછી જ પતંગ પાછો આપ્યો. આ પ્રસંગથી પતંગ
ઉડાવવાની પરંપરા કેટલી પ્રાચીન છે તેનો ખ્યાલ આવે છે.
સૂર્યમંત્ર
મકરસંક્રાંતિના દિવસે નીચે જણાવેલા મંત્રોનો જાપ જરૂર કરો.
સૂર્યદેવનું પૂજન-અર્ચન કર્યા પછી તમારી મનોકામના મનમાં જ બોલો. ભગવાન
સૂર્યનારાયણ તમારી મનોકામનાઓ જરૂર પૂરી કરશે.- ૐ ધૃણિં સૂર્યઃ આદિત્યઃ ।
- ૐ હ્રીં હ્રીં સૂર્યાય સહસ્રકિરણરાય મનોવાંછિત ફલમ્ દેહિ દેહિ સ્વાહા ।
- ૐ એહિ સૂર્ય સહસ્ત્રાંશોં તેજો રાશે જગત્પતે, અનુકંપયેમાં ભક્ત્યા, ગૃહાણાર્ધય દિવાકરઃ ।
- ૐ હ્રીં ધૃણિઃ સૂર્ય આદિત્યઃ ક્લીં ૐ ।
- ૐ હ્રીં હ્રીં સૂર્યાય નમઃ ।
- ૐ મિત્રાય નમઃ ।
- ૐ સૂર્યાય નમઃ ।
- ૐ ભાનવે નમઃ ।
- ૐ ખગય નમઃ ।
- ૐ પુષ્ણે નમઃ ।
- ૐ હિરણ્યગર્ભાય નમઃ ।
- ૐ મારિચાયે નમઃ ।
- ૐ આદિત્યાય નમઃ ।
- ૐ ભાસ્કરાય નમઃ ।