Sep 26, 2014

KHEDA JILLA MA 94 VIDHYASAHAYAKO SUSPEND.

૯૪ વિદ્યાસહાયકોને છૂટા કરવા આદેશ:-
--> ખેડા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ષ ર૦૦૮માં ભરતી થયેલા વિદ્યાસહાયકોમાં ૧૧પ જેટલા વિદ્યાસહાયકો બોગસ ભરતી થયેલા હોવાનું ધ્યાને આવતાં તેઓની તપાસ હાથ ધરવામાં આવી હતી.જેમાં અપંગના પ્રમાણપત્રો ઉપરાંત રમતગમતના પ્રમાણપત્રોને આધારે ફરજ બજાવી રહેલા અને ભરતીના મહેકમ કરતાં વધુ ભરતી થયેલા વિદ્યાસહાયકો સામે તપાસ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં બોગસ પ્રમાણપત્રો મામલે છુટા કરાયેલા અને સ્વૈચ્છીક રાજીનામુ સ્વીકારવામાં આવ્યું હોય તેવા ૧૧ વિદ્યાસહાયકો હતા.જેને પગલે બાકી રહેલા ૧૦૪ વિદ્યાસહાયકોને કોર્ટના હુકમને પગલે તા.૯ના રોજ આધાર પુરાવા સાથે રૃબરૃ સુનવણી હાથ ધરવામાં આવી હતી.જેમાં તપાસને અંતે ૯૪ વિદ્યાસહાયકોને આજરોજ નોકરીમાંથી છુટા કરવાનો હુકમ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા કરવામાં આવતાં બોગસ ભરતી થયેલા વિદ્યાસહાયકોમાં સોંપો પડી ગયો હતો.
ખેડા જિલ્લામાં વર્ષ ર૦૦૮માં થયેલી વિદ્યાસહાયકોની ભરતીમાં તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે.એન.બામણીયા અને તેમના અંગત ક્લાર્ક દ્વારા નાણાકીય વ્યવહારથી બોગસ ભરતી કરી હોવાના આક્ષેપો સાબિત પુરવાર થયા હતા.પોતાની મનમાનીને આધારે ભરતી પ્રક્રિયામાં નિયત કરતાં વધારાના ૬૪ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવી હતી,જ્યારે પ૧ વિદ્યાસહાયકોને રમતગમત તેમજ અપંગના બોગસ પ્રમાણપત્રોને આધારે લાયક માનવામાં આવ્યા હોવાની પીટીશન ખેડા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવી હતી.જેને પગલે તપાસ હાથ ધરાઈ હતી,અને સમગ્ર મામલો જાણ્યા બાદ હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે જિલ્લા પંચાયતને સુનવણી હાથ ધરીને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો.જેને પગલે તા.૯/૯/૧૪ના રોજ ૧૦૪ વિદ્યાસહાયકોને રૃબરૃ લેખિત ખુલાસા અને આધાર પુરાવા સાથે સાંભળવામાં આવ્યા હતા.જેની સંપુર્ણ તપાસ બાદ આજરોજ ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.એમ.જાદવ દ્વારા ૧૦ વિદ્યાસહાયકોના પ્રમાણપત્રો સાચા હોવાનું માન્યું હતું,જ્યારે બાકીના ૯૪ વિદ્યાસહાયકોમાંથી ૬ર ને વધારાની ભરતી થયા હોવાના કારણોસર તેમજ ૩ર વિદ્યાસહાયકોને રમતગમતના પ્રમાણપત્રોના મામલે નિમણૂંક અમાન્ય ઠરતી હોવાનું જાહેર કરીને તમામ ૯૪ વિદ્યાસહાયકોને નોકરીમાંથી છુટા કરવાનો આદેશ કર્યો હતો.જો કે હાઈકોર્ટના આદેશને પગલે હુકમનો અમલ ર૧ દિવસ પછી થશે,તેમ જણાવવામાં આવેલ છે. ૯૪ બોગસ વિદ્યાસહાયકોને છુટા કરવાનો આદેશ થતાં જ સવારથી જ બોગસ શિક્ષકોમાં સોંપો પડી ગયો હતો.તેમછતાં તેઓએ આગામી સમયમાં હાઈકોર્ટમાંથી હુકમ સામે સ્ટે મેળવવાના ચક્રો ગતિમાન કરી દીધા હોવાનું જાણવા મળેલ છે.
બોગસ ભરતી મામલે છૂટા કરાયેલા વિદ્યાસહાયકો સ્ટે માટે પ્રયત્નશીલ
વર્ષ ર૦૦૮માં રમતગમતના બોગસ પ્રમાણપત્રો અને વધારાની ભરતીથી વિદ્યાસહાયક તરીકે નિમણૂંક પામેલા ૯૪ વિદ્યાસહાયકોને આજરોજ ફરજ ઉપરથી છુટા કરવાનો હુકમ કરવામાં આવતાં તમામ વિદ્યાસહાયકોમાં નિરાશા વ્યાપી ગઈ હતી.તેમછતાં તેઓએ આગામી સમયમાં હાઈકોર્ટને શરણે જઈને હુકમ વિરૃધ્ધ સ્ટે મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.