Oct 30, 2014

૯-૧૦ના ક્લાસોને પ્રાથમિક શાળામાં ભેળવી દેવા તૈયારી.


પ્રાયોગિક ધોરણે ૫૦૦ શાળાઓની પસંદગી કરાશે : હાલ ધોરણ ૮ને પ્રાથમિક શાળામાં ફેરવી દેવામાં આવ્યા બાદ આને મોટી સફળતા મળી જતા હિલચાલ હાથ ધરાઈ અમદાવાદ, તા.૩૦,રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવ્યું છે. આ પ્રયોગને ભારે સફળતા મળી છે ત્યારે હવે આ સફળતાને આગળ ધપાવતા આગામી સમયમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળામાં ભેળવી દઈને સળંગ ધોરણ-૧ થી ૧૦ની શાળા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ રાજ્યનાં ગ્રામ્ય વિસ્તારોમાં માધ્યમિક શાળાઓની સુવિધા પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. એટલે પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ હાઈસ્કુલની સુવિધા દુર હોવાથી ધણા ગરીબ અને મધ્યમવર્ગના પરિવારના બાળકોએ માધ્યમિક શિક્ષણથી વંચિત રહેવું પડે છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ધોરણ-૮ને પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યારે હવે આ પ્રયોગને સફળતા બાદ આગામી દિવસોમાં ધોરણ-૯ અને ૧૦ના વર્ગોને પણ પ્રાથમિક શાળાઓમાં ભેળવી દેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ પ્રયોગ અમલી બને તો ગ્રામ્ય વિસ્તારોના બાળકોને પોતાના ગામમાં જ ધોરણ-૧ થી ૧૦ સુધીનું શિક્ષણ મફત ઉપલબ્ધ બનશે. આ પ્રયોગ માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પ્રાયોગિક રીતે રાજ્યની ૫૦૦ પ્રાથમિક શાળાઓની પસંદગી કરી છે. જેમાં પ્રાયોગિક તબક્કે ધોરણ-૯ અને ૧૦ના વર્ગો પ્રાથમિક શાળામાં ભેળવી દેવામાં આવશે જો આ પ્રયોગને સફળતા મળશે તો તેને આગામી દિવસોમાં રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે.આ સંદર્ભે જરૂરી તમામ માહિતી શિક્ષણ વિભાગને મોકલી આપવા સંયુક્ત શિક્ષણ નિયામકે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને આદેશ આપી દીધો છે જે માહિતી મોકલવાની છે.